જીંદગીને ચાહું છું હું!

સદાય આનંદમાં રહેવાની, હંમેશા સ્મિતનાં ફૂલડાં વેરતા રહેવાની કળા જેને આવડી જાય છે તેની પાસે દુ:ખ, શોક, હતાશા જેવી લાગણીઓ કદી પણ ફરકતી નથી.

એક ચિંતક કહે છે, ‘દુ:ખને ધિક્કારવાની જરૂર નથી, આનંદને આવકારવાની જરૂર છે.’ વાત સાચી છે. હૈયામાં આનંદના ધોધ ઊછળતા હશે, પ્રસન્નતાના તરંગો ઊઠતા હશે તો શોકને દૂર કરવાના કોઈ પ્રયાસોની તમને જરૂર નહિ પડે. શોક સ્વયં તમારા માર્ગમાંથી હટી જશે. પ્રકાશ હોય ત્યાં અંધારૂ ન હોય. આનંદ હોય એટલે શોકનું અસ્તિત્વ આપોઆપ નાશ પામે. જરૂર દુ:ખનો નાશ કરવાની નથી, સુખને – આનંદને – પ્રસન્નતાને પ્રગટાવવાની છે અને તે થોડા સમય માટે નહિ, કાયમ માટે.

સ્મિત ભર્યા ચહેરે ફરતું અને સુખનું ગુલાબ ઊડાડતા ફરવું તે એક કલા છે. આ કલા કંઈ બધાને હસ્તગત થતી નથી પણ જેને હસ્તગત થઈ જાય છે તેના જીવનમાં દુ:ખ કે શોકનો પડછાયો સુદ્ધાં પડતાં નથી.

જીવતાં શીખો. યાદ રાખો કે સોગિયુ ડાચું રાખીને કે ચિંતાભર્યો ચહેરો રાખીને ફરવાથી દુ:ખો અને ચિંતાઓની

વીંછણો તમારો કેડો છોડવાની નથી એ તો સદાય તમારી પાછળ પડેલી જ રહેવાની. ને જો એમ હોય તો શા માટે હસતા ચહેરે હાસ્યની છોળો ઊડાડતાં ઊડાડતાં ન ફરવું? પ્રાપ્ત સ્થિતિને પલટી શકાય તેમ નથી. તો શા માટે મનની મોજ સાથે ન જીવવું? જિંદગી જીવવાનો શ્રેષ્ઠ તરીકો શા માટે ન અપનાવવો?

હું એક એવી સ્ત્રીને ઓળખું છું જે એક શાળામાં શિક્ષિકા છે. એને જુઓ એટલે લાગે કે જીવતી જાગતી ખુશી જઈ રહી છે. એના ચહેરા પર હોય હાસ્ય અને આનંદ – કદી કંટાળો નહિ, કદી જિંદગીની કોઈ ફરિયાદ નહિ, ઉત્સાહનો જીવંત ફૂવારો જાણે! વર્ગમાં દાખલ થાય એટલે બાળકોમાં ખોવાઈ જાય. એને મેં પૂછ્યું કે: ‘તમે શી રીતે આમ આનંદી રહી શકો છો? તમને કંટાળો આવતો નથી? તેણે જવાબમાં હસીને કહ્યું, ‘ના. કારણકે હું જિંદગીને ચાહું છું.’ છે, એનો જવાબ ટૂંકો, પણ સચોટ. રોદણાં રડનારા, જિંદગીને ચાહતા નથી,

ધિક્કારે છે.

જે જિંદગીને ચાહે છે તે કામને ચાહે છે ને કામમાંથી પ્રેરણા મેળવે છે. એકએક પળ એના માટે ખુશીની છાબ લઈને આવે છે. એકએક દિવસ એના માટે આનંદની ખુશનસીબીનો સંદેશો લઈને આવે છે. જિંદગીને ચાહે છે તે જિંદગીને ધિક્કારતો નથી, રોદણાં રડતો નથી. બીજા આગળ સુખોના અભાવનાં, શોકનાં ગાણાં ગાતો નથી. જિંદગીને ચાહવાની વાત છે. આપણામાં કેટલા જિંદગીને ચાહતા હોય છે? જે શ્રેષ્ઠ જિંદગી પરમાત્મા તરફથી આપણને મળી છે, તેને આપણામાંના ઘણા બધા મહદઅંશે ધિક્કારતા હોય છે. પોતે કદરૂપો છે, રૂપાળો નથી, પોતે ગરીબ છે -અમીર નથી, પોતે દુર્બળ છે- શક્તિશાળી નથી, પોતાને ઝૂંપડું મળ્યું છે – મહેલ નથી, પત્ની સામાન્ય છે – રૂપ રૂપનો અંબાર નથી, ઓછું ભણતર છે – મોટી મોટી ડિગ્રી નથી, સામાન્ય કારકૂન છે – મોટો અધિકારી નથી. બસ અભાવનાં ગાણાં !

જે નથી તેના ગાણાં ગાઈએ છીએ જે છે તેની વાત નથી કરતા. આપણે નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યા છીએ. આપણે જે લૂંટાઈ ગયું છે તેના પર અશ્રુપાત કરીએ છીએ જે બચી ગયું છે તેનો આનંદ ઊજવતા નથી. આપણે એક જોખમી નકરાની બુનિયાદ પર ઊભા છીએ. રાતના અંધારાની નહિ, શીતળ પ્રકાશ રેલાવતા ચંદ્રની વાત કરો. વરસાદથી થતા કીચડની નહિ, ધરતીમાંથી ઊગી નીકળતા લીલા છોડવાની વાત કરો. એ આપણે કરતા નથી.

આ વાત માત્ર કોઈ સ્ત્રી કે પુરુષની નથી, જિંદગીના ચહેરાને આંસુથી ખરડીને ફરનારા સહુ કોઈની છે. તમને નથી લાગતું કે આપણે ખોટી રીતે જીવી રહ્યા છીએ ?

Similar Posts

  • Astrophysicist Nergis Mavalvala Named Dean Of MIT School Of Science

    On 18th August, 2020, Pakistan-born, Zoroastrian quantum astrophysicist Nergis Mavalvala has been named the new Dean of the prestigious MIT School of Science, one of the five schools of the Massachusetts Institute of Technology (MIT). As the hitherto Associate Head of the Physics Department, Mavalvala will take over as the new Dean from September 1,…

  • કમ્યુનીટી ન્યુઝ

    જીમી એન્જિનિયર હબીબ જાલિબ પીસ એવોર્ડ મેળવશે વૈશ્ર્વિક સ્તરે જાણીતા કલાકાર, શાંતિ કાર્યકર અને સામાજિક ઝુંબેશ ચલાવનાર પાકિસ્તાન સ્થિત જીમી એન્જિનિયરને આર્ટ અને સોશિયલ વર્ક ક્ષેત્રે તેમની પ્રશંસનીય સેવાઓ માટે 2019 માટે હબીબ જાલિબ ‘પીસ પુરસ્કાર’ માટે પસંદ કરવામાં આવ્યા છે. હબીબ જાલિબ પીસ એવોર્ડ કમિટી 30 એપ્રિલ, 2019 ના દિને પાકિસ્તાનના કરાચીમાં આવેલ આર્ટસ…

  • RELIGIOUS ANNOUNCEMENTS

    Dae Mah Jashan at Ashburner Agiary A Dae Mah Jashan will be performed at the Seth Cowasji Maneckji Ashburner Agiary on 4th June, 2023 (Roj -Daepdin, Mah Dae; YZ 1392), at 10.00 am. All Parsi/Irani Zoroastrians are warmly invited to attend. ————————————————————————————————————————————————- Sett Agiary To Hold Dae Mah Jashan Sett Maneckji Nowroji Sett Agiary (Bazar…

  • હસો મારી સાથે

    કાલે એક ચોપડીમાં વાંચ્યું હતુ કે ખુશ રહેવું છે તો પત્ની જોડે વાત કરો.. આજે બે લોકોની પત્ની જોડે વાત કરી. સાચે બહુ મજા આવી.. *** પત્ની: કહો જોઈએ આપણા બે માંથી મૂર્ખ કોણ છે…??? હું કે તમે? પતિ: (શાંતિથી) બધાને ખબર જ છે કે … તું એકદમ ચબરાક ને ચતુર છે, તું કદાપિ મૂર્ખ…