દસ્તુરજી ડો. માનેકજી નસરવાનજી ધાલ્લા

સૃષ્ટિ (સર્જન) તમારી દિવ્ય ભલાઈનું મુક્ત કાર્ય છે, અહુરા મઝદા! જ્યારે કશુંય નહોતું, ત્યારે તમે એકલા તમારી ઉત્કૃષ્ટતાની આત્મનિર્ભરતામાં વસતા હતા. તમે અમેશા સ્પેન્ટાઓના, અને યઝદોના પિતા છો, અને ફ્રવશિશ પણ તમારા જ છે.

તમે જ બહેશ્તી આલમને પ્રકાશથી (તેજ) આચ્છાદિત કરી છે અને તમે જ ધરતી અને પાણી તથા છોડવા અને જનાવરો તથા મનુષ્યનું (માનવ) સર્જન કર્યુ છે. તમે જ સૃષ્ટિનો ક્રમ નકકી કર્યો છે, સૂર્ય અને ચંદ્ર અને તારા અને ઋતુ (મોસમ) પણ. તમે જ પૃથ્વીને તથા તારાને ખરી પડતા અટકાવ્યા છે. તમે જ ચંદ્રની કળાને વધારો અને ઘટાડો છો અને સમુદ્રમાં ભરતી અને ઓટ લાવો છો. તમે જ પવન અને વાદળોને તેમની ગતિ બક્ષો છો. તમે ભૌતિક અને આધ્યાત્મિક વિશ્ર્વનું સર્જન કરનારા છો.

સહુ સજીવ તથા નિર્જીવના હે સર્જનહાર!

તમે માનવનું સર્જન કર્યુ અને તેના શરીરમાં પ્રાણ ફૂંકયો; તમે જ તેને વિચારવાની તથા મુકતપણે હરવા-ફરવાની શક્તિ બક્ષી છે. માનવ, તમે કહ્યું છે કે તમારા સર્જનમાંની મહાનતમ અને સહુથી શ્રેષ્ઠ બાબત છે, જે આ અપૂર્ણ (ખામીવાળા) વિશ્ર્વને તમારી રાહબરીની મદદથી પૂર્ણતા તરફ દોરી જનાર (રીડીમર) બનશે.

તમે આ સૃષ્ટિના જનક (પિતા) તથા માલિક છો અને કયારેય નિષ્ફળ ન જનારી તથા અવિભાજિત (અખંડ) ભલાઈ અને સુરક્ષા દ્વારા, તમે  અમારા સહુના કલ્યાણ પ્રત્યે પ્રેમાળ પિતાની નમ્ર કાળજી સાથે રાખો છો. હે બહેશ્તી પિતા, આદરાંજલિ તથા ભક્તિ, સ્તુતિ તથા ગૌરવ સદા તમારા પર રહે!

 

Similar Posts